કેન્દ્ર સરકાર દ્વારા શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજના અંતર્ગત વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર દેશમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો રાષ્ટ્રીય કાર્યક્રમ તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમના ભાગરૂપે સુરતના સાયન્સ સેન્ટર, સિટીલાઈટ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ તેમજ લોન વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજનાના અસરકારક અમલીકરણમાં સુરત મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં છઠ્ઠો ક્રમ અને ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજના અંતર્ગત શાકભાજી, ફળ, ખાણીપીણી અને ચાની લારીઓ, પાથરણાવાળા, હસ્તકલા ઉત્પાદનો વેચનાર, ધોબી, નાઈ, મોચીકામ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરતા શેરી ફેરિયાઓને આજીવિકા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં યોજનાના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા હેઠળ કુલ ૧,૩૩,૦૫૮ લાભાર્થીઓને રૂ. ૨૦૩.૯૯ કરોડની લોન બેંકો દ્વારા આપવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ૯૧,૨૯૩ લાભાર્થીઓને રૂ. ૯૧.૮૮ કરોડ,
બીજા તબક્કામાં ૩૨,૬૮૪ લાભાર્થીઓને રૂ. ૬૬.૭૫ કરોડ,
ત્રીજા તબક્કામાં ૯,૦૮૧ લાભાર્થીઓને રૂ. ૪૫.૩૬ કરોડની લોન વિતરણ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ નાના વેપારીઓને વ્યાજે રૂપિયા લઈ વ્યવસાય કરવો પડતો હતો, જેમાં તેમની આવકનો મોટો ભાગ વ્યાજ ચૂકવવામાં જતો હતો. વડાપ્રધાનશ્રીએ આ સમસ્યાને ધ્યાનમાં રાખી પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકી, જેના થકી નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને પોતાના વ્યવસાયને આગળ વધારવાની સુવર્ણ તક મળી છે.
આ કાર્યક્રમમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, દંડકશ્રી ધર્મેશ વાણીયાવાલા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અગ્રણીઓ, મનપાના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
